કોઈપણ ગુનો બને તેની ફરીયાદ (F.I.R) મોડામાં મોડી કેટલા દિવસમાં લખાવી શકાય? જાણો કાયદાકીય માહિતી.

આપણે અવારનવાર પોલીસ સ્ટેશન જઈયે છીયે જ્યાં આપણને ઘણીવાર કાયદાની અજ્ઞાનતાના કારણે તકલીફ પડતી હોય છે. કાયદાની જાણકારી ન હોવાના કારણે પોલીસ ધક્કા ખવડાવે અથવા આપણી ફરીયાદ નોંધવાની ના પાડી દે છે. કાયદાની આંટીઘુંટી બતાવીને ઘણીવાર પોલીસ તમે મોડા આવ્યા છો એમ કહીને આપણી ફરીયાદ નોંધવાની ના પાડે છે. બોલે ગુજરાત કાયદાકીય જાગૃતિ માટે કાર્ય કરે છે ત્યારે આજના આર્ટિકલમાં આપણે જાણીશુ કે મોડામાં મોડુ કેટલા ટાઈમમાં ફરીયાદ લખાવી શકાય.

એફ.આઈ.આર (F.I.R) એટલે શું?

એફ.આઈ.આર ને અંગ્રેજીમાં “ફર્સ્ટ ઈન્ફોર્મેશન રીપોર્ટ” તેમજ ગુજરાતીમાં “પ્રથમ માહિતી અહેવાલ” કહેવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જઈને કોઈ બનાવ કે ઘટનાની પોલીસ સમક્ષ જાહેરાત કરે કે માહિતી આપે અને પોલેસ તે માહિતી આધારે સી.આર.પી.સી કલમ – ૧૫૪ મુજબ પોતાના ચોપડે ગુન્હાની નોંધણી કરે તેને એફ.આઈ.આર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈ જગ્યાએ ખુન થાય જે વ્યક્તિ પોલીસ સ્ટેશને જઈને ખુન અંગેની સૌ પ્રથમ માહિતિ પોલીસને આપે તેને ફરીયાદ કહેવાય અને ફરીયાદ આધારે પોલીસ એના ચોપડામાં ગુનાની નોંધ કરે તેને એફ.આઈ.આર કહેવામાં આવે છે.

કોગ્નિઝેબલ ઓફેન્સ (પોલીસ અધિકારના ગુનાઓ) :

પોલીસ અધિકારના ગુનાઓ એટલે એવા ગુનાઓ કે, જેમા ગુનાના આરોપીને પકડવા માટે તેમજ ગુનાની તપાસ કરવા માટે પોલીસને સત્તા મળેલી છે. કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરવા અને આરોપીઓ પકડવા માટે પોલીસને મેજીસ્ટ્રેટના વોરંટની કે આદેશની જરૂર રહેતી નથી. કોગ્નિઝેબલ ગુનામાં પોલીસે પ્રથમ માહિતી આધારે સી.આર.પી.સી કલમ – 154 મુજબ FIR નોંધી ગુનાની તપાસ, ઝડતી અને આરોપીની ધરપકડ કરી શકાય છે. કોગ્નિઝેબલ ગુનાઓ (પોલીસ અધિકારના ગુના) એટલે ગંભીરના પ્રકારના ગુનાઓ જેમાં ખુન, લુંટ, ચોરી, બળાત્કાર, ધાડ, ધમકી, બળવો, ઈજા, અપહરણ, હત્યાની કોષિશ, ગેરકાયદેસર મંડળી રચવી, સરકારી કર્મચારીના કામમાં અડચણ કરવી વગેરે જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. ટુંકમાં કોગ્નિઝેબલ ગુનાઓ એટલે જેમાં પોલીસ કોર્ટના વોરંટ વગર ધરપકડ કરી શકે તેવા ગુનાઓ.

નોન-કોગ્નિઝેબલ(પોલીસ અધિકાર બહારના ગુનાઓ) :

પોલીસ અધિકાર બહારના ગુનાઓમાં પોલીસને મેજીસ્ટ્રેટની પરવાનગી વગર ગુનાની નોંધણી કે તપાસ કરી શકે નહી તેમજ આરોપીને પણ પકડી શકે નહી. નોન-કોગ્નિઝેબલ ગુન્હાની બાબતમા પોલીસ અધિકારીઓને જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ દ્વારા લેખિત આદેશ કરવામાં આવે છે કે તે વિશેષ કાર્યવાહી કરે. નોન-કોગ્નિઝેબલ ગુન્હાઓ એટલે સામાન્ય પ્રકારના ગુનાઓ જેમાં જાસુસી, સાર્વજનિક ઉપદ્રવ, ધાર્મિક લાગણી દુભાય તેવા ગુનાઓ, લાંચ, ખોટી માહિતી આપવી, બદનક્ષી કરવી, બનાવટ, છેતરપીંડી વગેરે રહેલ હોય છે. નોન-કોગ્નિઝેબલ પ્રકારના ગુનામાં પોલીસ ફરીયાદ નોંધવાની રહેતી નથી પરંતુ પોતાના રજીસ્ટરે નોંધ કરી ફરીયાદી/અરજદારને સંબંધિત મેજીસ્ટ્રેટનો સંપર્ક કરવાની સુચના આપવામાં આવે છે. ટુંકમા નોન-કોગ્નિઝેબલ ગુના એટલે જેમાં પોલીસ મેજીસ્ટ્રેટની મંજુરી વગર ધરપકડ કરી શકે નહી તેવા ગુના.

ફરીયાદ કેટલા દિવસમાં લખાવી શકાય?

સી.આર.પી.સી કલમ – ૧૫૪માં જણાવ્યા મુજબ જો કોઈ કોગ્નિઝેબલ ગુનો બને છે તો તમે પોલીસ સ્ટેશન જઈને તરત જ પ્રથમ માહિતી આપી એફ.આઈ.આર લખાવી શકો છો. આ સિવાય તમે કોગ્નિઝેબલ તેમજ નોન-કોગ્નિઝેબલ બંન્ને પ્રકારના ગુનાની સીધા જ કોર્ટમાં જઈને પણ લેખિતમાં ફરીયાદ કરી શકો છો. ફોજદારી કાર્યરિતી અધિનિયમ – ૧૯૭૩ ની કલમ – ૪૬૮ની વિવિધ પેટા કલમ દ્વારા ફરીયાદ લખાવવાની સમય મર્યાદા સંબધિત જોગવાઈઓ કરવામાં આવી છે જે નીચે મુજબ છે.

  • કલમ – ૪૬૮(૨)(એ) મુજબ જે કોઈપણ ગુનામાં ફક્ત દંડની સજાની જોગવાઈ હોય તેવા ગુનાની ફરીયાદ ફક્ત ગુનો બન્યાનાક ટાઈમથી છ મહિના સુધીમાં ગમે ત્યારે કરી શકાય છે. છ મહિના પછી ફરીયાદ કરી શકાતી નથી.
  • કલમ – ૪૬૮(૨)(બી) મુજબ જે ગુનામાં મહત્તમ એક વર્ષની જેલની સજાની જોગવાઈ હોય એવા કોઈપણ ગુનાની ફરીયાદ ગુનો બન્યા ટાઈમથી એક વર્ષ સુધીમાં ગમે ત્યારે લખાવી શકાય છે. મતલબ કે એક વર્ષના સમયગાળા પછી ફરીયાદ લખાવી શકાતી નથી.
  • કલમ – ૪૬૮(૨)(સી) મુજબ જે ગુનામાં સજાની જોગવાઈ એક વર્ષ કરતા વધુ પરંતુ ત્રણ વર્ષ કરતા ઓછી સજાપાત્ર ગુનો હોય તો ગુનો બન્યા ટાઈમથી ત્રણ વર્ષ સુધીમાં ગમે ત્યારે ફરીયાદ લખાવી શકાય છે અને ત્રણ વર્ષ બાદ કોઈ ફરીયાદ કરી શકાતી નથી.
  • જે ગુનામાં ત્રણ વર્ષ કરતા વધુ સમયની સજાની જોગવાઈ છે એવા કોઈપણ ગુનામાં ફરીયાદ લખાવવાની કોઈપણ મર્યાદા નથી, ગમે ત્યારે ફરીયાદ લખાવી શકાય. જો કે મોડી ફરીયાદ લખાવવા બદલ કોર્ટને વ્યાજબી કારણ આપવુ જરૂરી બને છે.
  • કલમ – ૪૬૮(3) મુજબ જ્યારે કોઈપણ ગુનામાં એક સાથે એક કરતા વધુ અપરાધ થયા હોય ત્યારે એ ગુનામાં સૌથી ગંભીર ગુનો હોય તેને ધ્યાને લઈને ફરીયાદ નોંધાવવાનો સમય નક્કી કરવો. ઉદાહરણ તરીકે કોઈ ઘરમાં ચોર લોકો રાતના ટાઈમે ઘુસીને, ઘ્રરના લોકોનુ ખુન કરીને પૈસા ચોરી જાય ત્યારે અહિયા ત્રણ ગુના એકસાથે બને છે ૧)ગેરકાયદેસર રીતે ઘુસવુ ૨) ખુન કરવુ ૩) ચોરી/લુંટ કરવી. જ્યારે આવા પ્રકારના ગુનાની ફરીયાદ લખાવવી હોય ત્યારે ત્રણામાંથી જે ગંભીર ગુનિઓ હોય તેનો સમય ધ્યાને લેવો જોઇયે.

 

ટુંકમાં આપણી આસપાસમાં કોઈપણ પ્રકારનો ગુનો બને એટલે ડર્યા કે શરમાયા વગર પોલીસે સ્ટેશને જઈને પ્રથમ માહિતી આપી ફરીયાદ લખાવવી જોઈયે, જો પોલીસ ફરીયાદ ન લખે તો લેખિતમાં અરજી આપવી જોઈયે અને અરજી આધારે ફરીયાદ દાખલ ન કરવામાં આવે તો કોર્ટમાં જવુ જરૂરી છે. કાયદો જાણો અને કાયદાના ઉપયોગથી જાગૃત નાગરિક બનો એવી બોલે ગુજરાતની અપીલ છે.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

2 COMMENTS

  1. કોઈ અન્ય વ્યક્તિ સાથે ગુનો બન્યો હોય પણ તે પોલીસ ફરિયાદ કરવા સક્ષમ ના હોય તો અન્ય કોઈ વ્યક્તિ જેણે ગુનો બન્યા ની તમામ સાચી હકીકત ખબર હોય તે પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવી શકે તે અંગે નો કોઈ પરીપત્ર  અથવા ઠરાવ અથવા કાયદા ના કોઈ માર્ગદર્શનો  હોય તેની માહિતી આપશો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat