મામલતદારની કાયદેસરની સત્તા, તેના કાર્યો અને ફરજો વિશે આટલી અગત્યની કાયદાકીય જાણકારી જરૂરી છે.

શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય મામલતદાર દરેક જગ્યાએ હોય જ છે. આપણામાંથી લગભગ કોઈ એવુ નહી હોય જેણે મામલતદારનુ નામ ન સાંભળ્યુ હોય પરંતુ આપણામાંથી હજારો લોકો એવા હશે જેને મામલતદારના કાયદેસરના કાર્યો વિશે કે તેની સત્તા વિશે કોઈ જ જાણકારી નહી હોય. મામલતદાર કચેરીએ તાલુકાની સૌથી અગત્યની અને જરૂરી કચેરી હોવાના કારણે આપણે હજારો વખત કોઈ નાના મોટા કામથી મામલતદાર ઓફિસ ધક્કા ખાધા હશે પણ છતાંય મામલતદાર વિશે આપણી પાસે માહિતી નહી હોય. બોલે ગુજરાતના માધ્યમથી લોકોમાં કાયદાકીય જાગૃતિ આવે એવો પ્રયત્ન કરી રહ્યા છીયે ત્યારે આજના લેખમાં આપણે મામલતદાર વિશે સંપુર્ણ માહિતી મેળવવાની છે.

મામલતદાર એટલે શું અને તેનો ઉદભવ કેમ થયો?

મામલતદાર શબ્દ મુળ અરેબિક શબ્દ “MUAMLA” (મામલા) પરથી ઉતરી આવેલ છે. “મામલો” એટલે ગુંચવણભરી બાબત કે કિસ્સો અને આવી બાબત કે પ્રશ્નોનો ઊકેલ લાવનાર અધિકારી એટલે મામલતદાર. ભારતમાં બ્રિટીશ શાસન દરમિયાન તહેસીલદાર  તરીકે આ સ્થાન શરૂ કરવામાં આવ્યું હતું. એ સમયમાં તહેસિલદારોનુ કામ સરકાર વતી મહેસૂલી કર ઉઘરાવવાનુ હતુ. તહેસીલદારને સમય જતા તાલુકદાર અને ત્યારબાદ મામલતદાર તરીકે ઓળખવામાં આવે છે. ધ બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ ગુજરાતીમાં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ – ૧૮૭૯ ની કલમ -૧૨ મુજબ તાલુકા કક્ષાએ મામલતદારની નિમણુક આપવામાં આવે છે. આમ, કાયદાની દ્રષ્ટીએ મામલતદાર એ સરેરાશ પચાસ કે તેથી વધુ ગામડાઓના સમુહના મહેસૂલી વડા અને સરકારના પ્રતિનિધી છે.

મામલતદારની મુખ્ય ફરજો શુ છે?

તાલુકાના મુખ્ય મહેસુલી અને વહીવટી અધિકારી તરીકે મામલતદારને અનેક પ્રકારની ફરજો અને સત્તાઓ સોંપવામાં આવેલ છે. વિવિધ પ્રકારની બાબતો માટે માલતદારની વિવિધ સત્તાઓ કાયદા દ્વારા નક્કી કરવામાં આવેલ છે જેમાં,

મામલતદાર તરીકેની ફરજો

  • પોતાના તાલુકાનો તમામ મહેસુલી વહીવટ સંભાળવો તેમજ તાલુકાના મુખ્ય સંકલનકર્તા તરીકે જવાબદારી નિભાવવી
  • જમીનને લગતા કોઇપણ મહેસુલી પ્રશ્નોનું ઉદભવસ્થાન મામલતદાર કચેરી છે એટલે મહેસુલી પ્રકરણોનો વિગતવાર અહેવાલ અને દરખાસ્તો ઉપલી કચેરીને એવી રીતે તૈયાર કરીને મોકલવી કે જેથી કોઇપણ જાતની વળતી પ્રશ્નોત્તરી સિવાય પ્રકરણનો નિકાલ આવે અથવા નિર્ણય થાય.
  • પોતાના તાલુકાના મહેસુલી કર્મચારીઓ જેવા કે તલાટી, ક્લાર્ક, નાયબ મામલતદાર, મહાલવાર વગેરેની કામગીરી ઉપર દેખરેખ રાખવી અને તપાસ કરવી.
  • મામલતદાર તાલુકાની તમામ જમીન રેકોર્ડનો સંરક્ષક (Custodian) છે તેથી જમીનના રેકર્ડની વ્યવસ્થિત જાળવણી અને સમયાંતરે તેને અધતન કરવાની મુળભુત જવાબદારી છે. મિલકતોની જાળવણી કરવાની તેની પ્રાથમિક અને મુળભુત જવાબદારી છે તથા જાહેર મુલકતો અંગેના હક્કોનું અને તેને આધારે ઉભા થતા મહેસલી પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં મામલતદારની મહત્વની ભુમિકા છે.
  • તાલુકાની સરકારી જમીનનોની જાળવણી કરવી અને આવી જમીનો ઉપર દબાણ ન થાય તેની સતત કાળજી લેવી.
  • સરકારી મહેસુલી લેણાંની વસુલાત કરવી તેમજ સરકારી આવકની ચોરી થતી અટકાવવી અને ચોરી કરનાર વિરુદ્ધ પગલા લેવા.
  • મામલતદાર કચેરીનો વહીવટ હંમેશા કાયદાની જોગવાઇ તથા તે હેઠળના નિયમો તેમજ સરકારશ્રીની વખતો-વખતની સ્થાયી સુચનાઓ મુજબ થાય તે જોવાની મામલતદારની પ્રાથમિક ફરજ છે.

એક્જિક્યુટીવ મેજીસ્ટ્રેટ તરીકે ફરજો

  • એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ તરીકે મામલદારે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ-107, 109, 110 અને 145 હેઠળ લેવામાં આવેલ પોલીસ કાર્યવાહીમાં જામીન લેવડાવવાની સત્તાઓ
  • સ્વરક્ષણ/પાક રક્ષણ માટે હથિયાર લાયસન્સની અરજીમાં પ્રાથમીક તપાસ કરી ઉપરી અધિકારીને અહેવાલ આપવો
  • ધાર્મિક, સામાજિક, રાજકિય કે અન્ય જાહેર પ્રસંગોએ લાઉડસ્પીકર વગાડવાની મંજુરી આપવી
  • કોઈપણ ઉદ્દેશ્યની રેલી કે જાહેર સભાની મંજુરી આપવી.
  • એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ તરીકે તાલુકા વિસ્તારમા જાહેર સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની કામગીરી ઉપર દેખરેખ કરવી
  • કોઈપણ અકસ્માત, આત્મહત્યા કે ગંભીર બનાવોમાં વ્યક્તિનુ મેજીસ્ટ્રેટ રૂબરૂ મરણૉન્મુખ નિવેદન લેવાની કામગીરી કરવી.
  • કોઈ લાશ મળી આવવાની ઘટનામાં કે મરણના કિસ્સામાં ઈન્ક્વેસ્ટ પંચનામા ભરવાનુ કામ
  • રાજકીય મહાનુભવો તેમજ ચુંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓના પ્રોટૉકોલની વ્યવસ્થા કરવી.
  • બીનવારસી મિલકતોનું જાહેર હરાજીથી લીલામ કરવુ.
  • પોલીસ દ્વારા પકડાયેલા આરોપીની મેજીસ્ટ્રેટ રૂબરૂ ઓળખ પરેડ કરવી.
  • શહેરી વિસ્તારની જમીન મહેસુલ વસુલાતની કામગીરી અને અન્ય ખાતાના બાકી રકમ જમીન મહેસુલ કયદાની જોગવાઇ મુજબ હળવા/ભારે ઇલાજ ધ્વારા વસુલાતની કામગીરી.

આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ હેઠળ પરવાના અને નિયંત્રણ અધિકારી તરીકે ફરજો

  • આવશ્યક ચીજવસ્તુ જેવી કે તેલ, ખાંડ, કેરોસીન, પેટ્રોલ, ડિઝલ, દુધ જેવી જીવનજરૂરી તમામ ચીજ વસ્તુના વેચાણ અંગે પરવાના આપવા અને તેના પર દેખરેખ રાખવાનુ કામ
  • આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અને જથ્થા આદેશ 1981 હેઠળ પરવાના અધિકારી તરીકે સસ્તા અનાજની દુકાનના નવા લાયસન્સ આપવા તેમજ લાયસન્સની શરતોના ભંગ બદલ કેસો ચલાવવા
  • વિવિધ પ્રકારના પુરવઠાને લગતા માયનોર એક્ટ મુજબની કામગીરી
  • સસ્તા અનાજની દુકાનોને દર માસે પરમીટ ઇસ્યુ કરવા તેમજ તેની નિયમિત તપાસણી કરવી અને દેખરેખ રાખવી.
  • તાલુકાના તમામ વ્યક્તિઓને જાહેર વિતરણ યોજના હેઠળના રેશનકાર્ડ પુરા પાડવા તેમજ રેશનકાર્ડમાં સુધારા-વધારા કરવાની કામગીરી કરવી.

મનોરંજન કર અધિકારી તરીકે ફરજો

  • ટીવી કેબલ સર્વિસ કનેક્શનનું રજીસ્ટ્રેશન કરવાની કામગીરી કરવી.
  • વિડીયો કે સિનેમાગૃહની મંજુરીની અરજીની પ્રાથમિક દરખાસ્ત તૈયાર કરવી.
  • દર માસે તમામ કેબલ કનેક્શન, વિડીયોગૃહ તેમજ સિનેમાગૃહના કરની આકારણી કરવી તેમજ નિયમિત તપાસણી હાથ ધરી મનોજંન કરની વસુલાત કરવી.
  • હોટલ અને ગેસ્ટહાઉસના લાયસન્સની અરજીની પ્રાથમિક તપાસણી કરી અહેવાલ મુકવો.

મધ્યાહન ભોજન યોજના

  • મામલતદારે નાયબ કલેક્ટર સાથે રહીને મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના સ્ટાફની નિમણુંકની કામગીરી કરવી
  • મામલતદારે દર મહિને ઓછામાં ઓછા દસ (10) મધ્યાહન ભોજન કેન્દ્રોની તપાસણી કરવી અને રિપોર્ટ કરવો.
  • તાલુકાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના સંચાલકોને પગાર / પેશગીના ચેકો વિતરણ તેમજ હિસાબની તપાસણી

મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકેની ફરજો

  • મામલતદારે મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે દર વર્ષે પહેલી જાન્યુઆરીની લાયકાતની તારીખ મુજબ મતદાર યાદીની સુધારણા કરવી અને નવા મતદારોને ઉમેરવાનુ તેમજ નામ કમી કરવાનુ કે નામ ટ્રાન્સફર કરવાનુ કાર્ય.
  • તમામ મતદારોને ફોટોવાળા આઈકાર્ડ પુરા પાડવા તેમજ મતદાર યાદી બનાવવામાં મદદરૂપ થવુ.

આ સિવાય મામલતદારે મદદનીશ ચુંટણી અધિકારી અને મામલતદાર તરીકે વિધાનસભાની ચુંટણી અધિકારી તરીકે અને લોકસભાની ચુંટણીમાં તાલુકા મામલતદાર તરીકે ફરજ બજાવવી. મતદાનની પ્રક્રિયા ગુપ્ત, ન્યાયી અને સરળ રીતે યોજાય એ માટે યોગ્ય કાર્યવાહી કરવાની રહે તેમજ મતદાન / મત ગણતરીની કામગીરીનુ યોગ્ય સંચાલન તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સહિત ચુંટણી દરમ્યાન આચારસંહિતાની અમલવારી કરાવવી. મામલતદારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી જેવી કે ધી કો – ઓપરેટીવ એકટ હેઠળ સહકારી બેંક, તાલુકા સંઘ, માર્કેટ યાર્ડ, કોટન જીન વિગેરે સહકારી સંસ્થાની ચુંટણી દરમ્યાન તેમજ ગામ / તાલુકા / જિલ્લા પંચાયતની મતદાર યાદી અને ચુંટણી પ્રક્રિયા હાથ ધરવી.

ઉપરાંત મામલતદારે વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો જેવા કે અનુસૂચિત જાતિ, અનુ.જનજાતિ, બક્ષીપંચ, ક્રિમીલેયર, આર્થિક પછાત વગેરે પ્રમાણપત્રો.  ડોમિસાઈલ પ્રમાણપત્ર, આવકના દાખલા, ખેડુત ખાતેદાર, નાના-સીંમાત ખેડૂત, વારસાઇ, સ્થાવર મિલ્કત, ચારિત્ર્યના દાખલા, વિધવા / ત્યકતા, આશ્રીત, ધાર્મિક અને ભાષાકીય લઘુમતિના દાખલા વગેરે કામગીરી કરવાની હોય છે. આ સિવાય મામલતદારે સમાજ કલ્યાણ તથા મહીલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ / અપંગ સહાય યોજના, વિધવા સહાય યોજના, અંત્યોદય યોજના તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત કુંટુબ કલ્યાણની કામગીરી, પોલીયો નાબૂદી તેમજ રસીકરણ તેમજ ગૃહ વિભાગ અંતર્ગત તાલુકા કક્ષાએ સબ જેલ સુપ્રીન્ટેન્ડેન્ટ તરીકે કામગીરી કરવાની હોય છે. આ સિવાય વખતો વખત સરકાર દ્વારા મામલદારને જે કામગીરી સોંપવામાં આવે તે સમગ્ર કામગીરી કરવાની રહે છે.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat